કુલ પૃષ્ઠ અવલોકનો

શુક્રવાર, 29 માર્ચ, 2013

એક હજાર વાલ્મીકિઓ પણ ઓછા પડે

 અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત પત્નીઓને શોધતા પ્રકાશ અને પપ્પુ
રાજસ્થાનથી ગુજરાતમાં મજુરીએ આવતા બાળ મજુરોની કલ્પાંત કથાઓ એવી હ્રદયદ્રાવક છે કે એને લખવા માટે એક હજાર વાલ્મીકિઓ પણ ઓછા પડે. દર વર્ષે ગુજરાતના હરિયાળા બીટી કોટનના ખેતરોમાં કામ કરવા હજારો બાળ મજુરોના ધાડે ધાડા ગુજરાતમાં ઉતરી પડે છે. એમાં મોટા ભાગના આદિવાસીઓ હોય છે. હવે માત્ર ત્રણ જ મહિના પછી આગામી જુલાઈમાં ગુજરાતની બીટી કોટન સીઝન શરૂ થવાની છે, ત્યારે ગયા વર્ષની એક ભયાનક ઘટનાની નોંધ ગુજરાતના બાળ અધિકાર ક્ષેત્રે કામ કરતા લોકોએ જરૂર લેવી જોઇએ. 

2012ની વીસમી ઓગસ્ટે પાટણ જિલ્લાના ચારુપ ગામે એક નાળામાં વહેલી પરોઢે રાજસ્થાન તરફથી ધસમસતી આવતી એક જીપ રસ્તાની બાજુએ મુકેલી લોખંડની રેલિંગ તોડીને નાળામાં ખાબકી હતી. તેમાં ઉદેપુર જિલ્લાના ઝાલોદ તાલુકાના ગામ નેતાજી કા બારાના આદિવાસીઓ બેઠા હતા. તેમને તેમના જ ગામનો એજન્ટ બનાસકાંઠાના કાંકરેજ જવા લઇને નીકળ્યો હતો. નાળામાં ખાબકેલી જીપે સોહન માંગીલાલ ચૌહાણ નામના આદિવાસી બાળ મજુરનો ભોગ લીધો. ઘટના સ્થળે પહોંચેલી પોલિસે બાળકની લાશનું પંચનામુ પણ કર્યા વિના તેના સગાવહાલાઓને ચુપચાપ પાછા રાજસ્થાન રવાના કરી દીધા. બીજા દિવસે ગુજરાતી અખબારોએ તો ઘટનાની નોંધ ના લીધી, પરંતુ ટાઇમ્સ ઑફ ઇન્ડીયામાં એક નાનો અહેવાલ પ્રગટ થયો, જેમાં બાળકનું નામ માંગીલાલ ચૌહાણ હોવાનું જણાવવામાં આવ્યું હતું. ઇજાગ્રસ્તોને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે એવું પણ અહેવાલમાં જણાવાયું હતું.   

મુંબઇથી ક્રાઇના સાથી પ્રવિણભાઈનો ફોન આવ્યો અને તેમણે ઘટના વિષે મને જણાવતા હું એકવીસમી તારીખે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યો. ટ્રોમા સેન્ટરમાં પૂછપરછ કરતા જાણવા મળ્યું કે બે ઇજાગ્રસ્ત આદિવાસી સ્ત્રીઓ આવી હતી, પરંતુ તેમને એ જ દિવસે એટલે કે વીસમી ઓગસ્ટે જ ડિસ્ચાર્જ કરી દેવામાં આવી હતી. દરમિયાન આદિવાસી સર્વાંગી વિકાસ સંઘના સાથી દિપક ડાભી પાટણ પહોંચી ગયા હતા. ત્યાં તેમને પ્રકાશ(ઉંમર 19) અને પપ્પુ (ઉંમર 21) નામના બે આદિવાસી યુવાનો મળ્યા જેઓ અમદાવાદ ગયેલી તેમની પત્નીઓ અંગે ચિંતિત હતા અને તેમની શોધમાં અમદાવાદ આવ્યા નીકળ્યા હતા. દિપકે તેમને મારો મોબાઇન નંબર આપેલો એટલે તેઓ સિવિલ પહોંચ્યા ત્યારે તેમને શોધવામાં ઝાઝી તકલીફ પડી નહીં. બંને યુવાનોએ જે વાત કરી એ પ્રમાણે તો તેમનો એજન્ટ બંને સ્ત્રીઓને લઇને પાટણથી સિવિલ સારવાર કરાવવાના બહાને નીકળ્યો હતો અને તેમને અમદાવાદ જતી બસમાં બેસાડીને રસ્તામાં ક્યાંક ઉતરી ગયો હતો. બંને યુવાનોએ એમના ગામે ફોન કરીને પૂછ્યું તો જાણવા મળ્યું કે ચોવીસ કલાક પછી પણ તેઓ રાજસ્થાન પહોંચ્યા નહોતા. પ્રકાશ અને પપ્પુની માનસિક હાલતની તો કલ્પના જ કરવી રહી. પ્રકાશની પત્ની વક્તુ ઇજાને કારણે ચાલી શકતી નહોતી અને પપ્પુની પત્ની દેવલીનું નાક ભાંગી ગયું હતું અને માથુ ફાટી જતાં બાર ટાંકા લેવામાં આવ્યા હતા. ટાઇમ્સના અહેવાલ પ્રમાણે કલેક્ટર જે જી હિંગરાજીયા ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લેબર કમિશનર જી એલ પટેલને આ મેટરમાં તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. આટલી સખત ઇજા પામનારા લોકોને યોગ્ય દવાદારૂની તજવીજ કરવામાં પણ નિષ્ફળ જનારા તંત્રએ કેવી તપાસ કરી હશે તેનું અનુમાન લગાવી શકાય છે. 

બંને યુવાનો પાસે ઉદેપુર જવાનું ભાડુ પણ નહોતું. તેમને જરૂરી નાણાકીય સહાય કરીને બસમાં બેસાડવા સાથી રાજેન્દ્ર વાઢેલને મેં જણાવ્યું. તેઓ તેમના ગામ નેતાજી કા બારા પહોંચ્યા પછી બે દિવસ મોબાઇલ ફોન દ્વારા સંપર્કમાં રહ્યા હતા, પરંતુ તંત્રએ વાયદો કર્યો હતો તે પ્રમાણેનું કોઈ જાતનું પુનસ્થાપન થયું હોવાના વાવડ નહોતા. જે સરકાર દિલ્હીના રાષ્ટ્રીય બાળ આયોગ આગળ પણ બીટી કોટનના બાળ મજુરોના પ્રશ્ને ઉલાડા કરે છે એની શાન કોણ ઠેકાણે લાવશે? ઇન્ટર સ્ટેટ માઇગ્રેશન એક્ટની કલમો કાગળ પર જ રહી ગઈ છે. આના કરતા તો રાજસ્થાન અને ગુજરાત બે અલગ દેશો જ હોત તો બાળ મજુરોના વ્યાપારનો મુદ્દો કમ સે કમ સંયુક્ત રાષ્ટ્રોમાં ચગાવી શકાયો હોત.

1 ટિપ્પણી:

  1. please your face book page link send me please sir..
    i have work now ahmedabad child line 1098 so help me child labour ...
    so please help me my work and your work..

    જવાબ આપોકાઢી નાખો