કુલ પૃષ્ઠ અવલોકનો

ગુરુવાર, 9 ફેબ્રુઆરી, 2012

અમદાવાદમાં દલિત બાળકોનો ડ્રોપઆઉટ રેટ



ભગવા નીચે અંધારુ

(રાજપુર-ગોમતીપુરનો કેસ સ્ટડી, 2009)

20 ચાલીઓ

1052 કુટુંબો

4026 વિદ્યાર્થીઓ

2157 ડ્રોપઆઉટ

ડ્રોપઆઉટની ટકાવારી 54.11

235 "સત્તાવાર" બીપીએલ કુટુંબો

376 "બીપીએલ કાર્ડથી વંચિત કુટુંબો"

રૂ. 3500થી ઓછી આવક ધરાવતા 611 કુટુંબો

આ વાંચીને ઘણા લોકોના ભંવા ચડી જશે. પરન્તુ, આ એક ભયાનક સચ્ચાઈ છે. ગુજરાતના આર્થિક, સાંસ્કૃતિક પાટનગર અમદાવાદ શહેરમાં વસતા દલિત બાળકોમાં ડ્રોપ-આઉટનો દર સેક્સ વર્કર્સના બાળકો જેટલો જ છે. આ શહેરમાં ગુજરાતના કુલ દલિતોનો ચોથો ભાગ વસે છે. દલિત સંગઠનોના ઝુઝારૂ નેતાઓ, સામાજિક કાર્યકારો, રાજકારણીઓ, પરગણાઓના બેતાજ બાદશાહો, આગેવાનો, ગેઝેટેડ અધિકારીઓ અને હવે તો ધર્મ પરિવર્તનની ધખના લઇને બેઠેલા નવ બોદ્ધો... કહો કે આ શહેરમાં ગુજરાતના દલિતોનું ઉત્કૃષ્ટ બુદ્ધિધન વસે છે. અને છતાં આ શહેરમાં દલિત બાળકોની અવદશા કોલકાત્તાના સોનાગાછી વિસ્તારની રૂપજીવિનીઓના બાળકોથી સહેજ પણ જુદી નથી.
243 બાળ મજૂરો, 2157 ડ્રોપ- આઉટ, ગરીબીની રેખા નીચે જીવતા 'સરકારી' બીપીએલ 235 કુટુંબો અને એમનાથી પણ વિશેષ સંખ્યામાં(બીપીએલનો આંકડો ઘટાડવાના વહીવટી પડયંત્રના ભાગરૂપે) જેમાના બીપીએલ છીનવાઈ ગયા છે, તેવા 36 કુટુંબો અને 163 નિરાધાર વિધવાઓ દલિત હક રક્ષક મંચના ઉપક્રમે રાજપુર-ગોમતીપુરની વીસથી વધારે ચાલી વિસ્તારોના 1052 કુટુંબોના સર્વેમાં ઉપરોક્ત ચોંકાવનારા આંકાડાઓ બહાર આવ્યા છે. આ 1052 કુટુંબના 4026 વિધાર્થીઓમાંથી 2157 વિધાર્થીઓ ડ્રોપ આઉટ છે, એટલે કે ભણતર અધૂરું મૂકીને ઉઠી ગયા છે. વિશેષમાં, આ 1052 કુટુંબોમાં 611 કુટુંબો એવા છે, જેમાં પતિ-પત્ની બંને મજૂરી કરે તો પણ માસિક આવક 3500 રૂપિયા કરતા વધતી નથી.

પશ્ચિમ બંગાળના મહિલા અને બાળ અને સમાજ કલ્યાણ વિભાગ તેમજ યુનિસેફની મદદથી કોલકાતાના જયપ્રકાશ ઇન્સ્ટિટયૂટ ઑફ સોશલ ચેન્જ (જેપીઆઈએસસી)એ કોલકાત્તાના રેડ લાઇટ એરીયા સોનાગાછી વિસ્તારમાં કરેલા સરવે પ્રમાણે "......ઘોરણ પાંચથી સાતના બાળકોમાં અને ખાસ કરીને છોકરીઓમાં ડ્રોપ આઉટ રેટ અત્યંત ઉંચો છે.... આ સરવેમાં 1200 સેમ્પલ કુટુંબો આવરી લેવામા આવ્યા હતા અને જણાયું હતું કે 2003 બાળકો કયારેય શાળાએ ગયા નથી, 384 બાળકોએ પૂર્વ-પ્રાથમિક કક્ષાએ જ શાળા છોડી દીધી હતી, જયારે માત્ર 13 બાળકો ઉચ્ચા માધ્યમિક કક્ષામાં જઈ શક્યા હતા."

રાજપુર-ગોમતીપુર વિસ્તારના એ 243 બાળમજૂરોની વાત સૌ પહેલા કરીએ. ગુજરાતના શાસકો અને એમના અધિકારીઓ સમાજ-વ્યવસ્થાનો સૌથી ઘાતકીપણે ભોગ બનેલા લોકો માટે સંસ્કૃતમય પદાવલીઓ યોજવામાં ઉસ્તાદ છે. તેઓ બાળકો માટે 'બાળ શ્રમયોગી' શબ્દ વાપરે છે, પરન્તુ આપણે એમને બાળ મજૂરો જ કહીશું.  આ બાળકોમાં ચૌદ વર્ષથી નીચેના 21 બાળ મજૂરો, જેમાં 18 છોકરાઓ અને 3 છોકરીઓ; 15 વર્ષના વયના 27 બાળમજૂરો, જેમાં 18 છોકરાઓ અને 9 છોકરીઓ; 16 વર્ષના વયના 28 કિશોર મજૂરો, જેમાં 19 છોકરાઓ અને 9 છોકરીઓ; 17 વર્ષના વયના 51 મજૂરો, જેમાં 11 છોકરીઓ અને 17 છોકરાઓ અને 18 વર્ષની વયના 107 કહેવાતા પુખ્ત મજૂરો જેમણે છેક 14 વર્ષની વયથી આછીપાતળી આવક ધરાવતા માબાપને ટેકો કરવા મજૂરીનો રાહ પકડી લીધો હતો અને જેમને આ દેશના બંધારણે મતાધિકાર આપ્યો છે, એવા 90 છોકરાઓ અને 17 છોકરીઓ સહિત કુલ 243 બાળકો, કિશોરોનો સમાવેશ થાય છે.

સર્વે હેઠળના વિસ્તારોમાં, 1. ખાડાવાળી ચાલી, 2. વોરાની ચાલી, 3. શકરા ઘાંચીની ચાલી, 4. હીરા ઘાંચીની ચાલી, 5. સળિયાવાલી ચાલી, 6. હવાડાની પોળ (મહાસુખરામની ચાલી, પોપટીયા વડ, જીવરામ ભટ્ટાની ચાલી), 7. કુંડાવાલી કાનજીભાઈ કાલીદાસ ચાલી, પોસ્ટ ઑઓફિસ સામે, 8. અબુ કસાઈની ચાલી, પોસ્ટ ઑફિસ સામે, 9. હીરાલાલની ચાલી, દૂધવાળી લાઇન, 10. સુથારવાડાની પોળ, 11. જૈન દેરાસર, 12. મહેબૂબ બિલ્ડીંગ, મણિયારવાડો, 13. મરીયમબીબી મસ્જીદ, 14. ચંદા મસ્જીદ, 15. ઝુલતા મીનારા(અમનનગર છાપરા, બીબી મસ્જીદ, તુલસી પાર્ક)નો સમાવેશ કરવામાં આવ્યો હતો.

વિસ્તાર પ્રમાણે ડ્રોપ-આઉટની પેટર્ન જોઇએ તો ખ્યાલ આવે છે કે સાતમાંથી દસમાં ઘોરણમાં જતા ડ્રોપ-આઉટનું પ્રમાણ વધતું જાય છે. અને દસમું ઘોરણ ડ્રોપ- આઉટની પરાકાષ્ટા છે. મોટા ભાગના બાળકો દસમા ઘોરણને વટાવી શકતા નથી. આમાંના નેવું ટકા બાળકો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓમાં ભણે છે, જ્યાં વર્ષમાં 200 દિવસનું શૈક્ષણિક કાર્ય પૂર્ણ થતું નથી. વર્તમાન સરકારની વિજયોત્સવો, કાર્નીવલો અને મહોત્સવો ઉજવવાની ઘેલછાએ ઉપરોક્ત બાળકોને શાળાઓ છોડાવવામાં કેટલી ભૂમિકા ભજવી એ એક તપાસનો વિષય છે. 'સાબરમતી રીવર ફ્રન્ટ ઉપર ચોજાએલા આંતરરાષ્ટ્રીય પંતગ મહોત્સવમાં વહેલી સવારથી 7500 બાળકોને હાજર કરી દેવામાં આવ્યા હતા. કાંકરીયા કાર્નિવલના ઉદ્દ્ઘાટન સમારોહમાં 10,000 બાળકોને કલોકો સુધી ભર તડકામાં ઉભા રાખવામાં આવ્યા હતા.' (જનસત્તા, તા. 29-1-2010)

સર્વ હેઠળના વિસ્તારોમાં મુખ્યત્વે ગરીબ સમુદાયો વસે છે. પચ્ચીસ-ત્રીસ વર્ષ પહેલાં આ વિસ્તારોમાં લાલ ઝંડાની આણ હતી. એ વખતે સમ્રગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સીપીએમના એક માત્ર કોર્પોરેટર અહીંથી ચુંટાયા હતા. વીસ-પચીસ વર્ષ પહેલા આ વિસ્તારો કોમી એખલાસની મિશાલ સમાન હતા. બનેં કોમો સંપથી રહેતી હતી. 1981ના અનામત વિરોધી રમખાણો પછી  આ સંપ રહ્યો નથી. એના કારણો ગમે તે હોય, પરિણામ તમારી નજર સામે છે. શું આપણે આ બાળકોના ભાવિ માટે કશું વિચારીએ છીએ ખરા? નદીની પેલે પાર નવરંગપુરા, નારણપુરા, સેટેલાઇટ વિસ્તારોમાં એક કિશોર ભણવાના ટેન્શના કારણે આપઘાત કરે તો, છાપાઓમાં મોટી હેડલાઇનો બને છે. આ વિસ્તારોમાં હજારો કિશોરો આર્થિક બેહાલીના કારણે ટેન્શનમાં ભણી જ શકતા નથી તો એની નોંધ કોણ લે છે?


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો